Wednesday, April 22, 2026

"સોળ સોમવારની વાર્તા આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવું અને સોળ સોમવાર સુધી આ વ્રત કરી મહાદેવજીના મંદિરે જવું, ત્યાં શિવ-પાર્વતીજીની પૂજા કરવી, એકટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોંકારો દેવાને બદલે 'મહાદેવજી-મહાદેવજી' એમ કહેવું. શંકર અને પાર્વતી ! પોતાના મંદિરમાં બેઠાં છે અને બેઠાં બેઠાં ચોપાટ રમે છે. એમની રમત તપોધન બ્રાહ્મણ બેઠો બેઠો જુએ છે. એને 'કોણ હાર્યું અને કોણ જીત્યું' એ કહેવાની સૂચના શંકર-પાર્વતીજીએ આપી. પહેલી વાર શંકર ભગવાન રમત જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું, "કોણ હાર્યું? કોણ જીત્યું ?" "ભગવાન ! આપ જીત્યા અને માતાજી હાર્યા.", બ્રાહ્મણે કહ્યું. બીજી વાર પાર્વતીજીની જીત થઈ ને બ્રાહ્મણને પૂછ્યું: "કોણ હાર્યું? કોણ જીત્યું ?" “ભગવાન! આપ જીત્યા અને માતાજી હાર્યા.” ત્રીજી વખત પાર્વતીજી જીતી ગયાં અને બ્રાહ્મણને પૂછ્યું : “બોલ ભાઈ! કોણ હાર્યું? કોણ જીત્યું?” “ભગવાન! આપ જીત્યા અને માતાજી હાર્યા.” આ તપોધન બ્રાહ્મણ બે વખત જૂઠું બોલ્યો, કારણ કે એને તો શંકર ભગવાનને રાજી કરવા હતા. આથી પાર્વતીજી ક્રોધે ભરાયાં અને બ્રાહ્મણને શાપ આપ્યો, “હે બ્રાહ્મણ! ત્રણ બાજીમાંથી બે બાજી હું જીતી ગઈ છું છતાં તું જૂઠું બોલ્યો, એટલે મારો તને શાપ છે કે તને આખા શરીરે કોઢ ફૂટી નીકળશે.” અને તરત બ્રાહ્મણને આખા શરીરે ત્યાં ને ત્યાં જ કોઢ ફૂટી નીકળ્યો. એટલે બ્રાહ્મણે શાપમુક્ત કરવા માટે શંકરજીને અને પાર્વતીજીને - બંનેને આજીજી કરવા માંડી અને માફી પણ માંગવા લાગ્યો, પણ આ શાપ તો પાર્વતીજીએ આપ્યો હતો, એટલે કંઈ થઈ શક્યું નહિ. એ તો ત્યાંથી ઊભો થયો અને રડતો રડતો ચાલી નીકળ્યો. તપોધન બ્રાહ્મણ પાર્વતીજીના શાપને લીધે કોઢિયો થયો. તેની સાથે સાથે અનેક દુઃખોમાં આવી પડ્યો. એક સાધુ મહારાજ આગળ બ્રાહ્મણે પોતાનાં દુઃખોની વિગત જણાવી અને આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું. સાધુ મહારાજે શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી. આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત પર શિવની તપસ્યા કરવા ચાલી નીકળ્યો. તે જતો હતો ત્યાં બદામી રંગની એક ગાય મળી. એણે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને પૂછ્યું : “હે તપોધન ભાઈ! તમે રડો છો કેમ? અને આમ રડતા રડતા ક્યાં જાવ છો?” આથી બ્રાહ્મણે માંડીને બધી વાત કરી. આ સાંભળી ગાય બોલી : “ભાઈ! હું પણ ઘણી દુઃખી છું. મારા આંચળ દૂધથી ફાટફાટ થાય છે. મને કોઈ દોહતું નથી અને મારાં વાછરડાં મને ધાવતાં પણ નથી, માટે મારાં પાપનું નિવારણ પણ પૂછતા આવજો.” “સારું.” કહી એ તો આગળ વધ્યો. ત્યાંથી થોડેક આગળ ગયો ત્યાં એક ઘેરા બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડો પણ દુઃખી હતો. એણે બ્રાહ્મણને પૂછ્યું: “હે વિપ્રદેવ! તમે આમ રડતાં રડતાં ક્યાં ચાલ્યા?” અને બ્રાહ્મણે ઘોડાને બધી માંડીને વાત કહી સંભળાવી, એટલે ઘોડો બોલ્યો: “અરે ભાઈ! હું આટલો બધો રૂપાળો અને કદાવર છું, છતાં કોઈ મારી ઉપર સવારી જ કરતું નથી; તો મારાં પાપનું નિવારણ પૂછતાં આવજો.” “ભલે.” કહી બ્રાહ્મણ આગળ વધ્યો. થોડેક દૂર ગયો ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબો આવ્યો. આંબા ઉપર કેરીનાં લૂમખાં ને લૂમખાં બાઝેલાં છે. બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો. આંબાના ઝાડે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એ જ જવાબ આપ્યો. ત્યારે આંબાએ કહ્યું: “હે ભાઈ! મારા ઝાડ પર આવી સરસ મજાની કેરીઓ લાગેલી છે, પરંતુ કોઈપણ માણસ એક પણ કેરી તોડીને ખાતું નથી, તો મારાં પાપનું નિવારણ પણ પૂછતાં આવજો.” થોડીક વારમાં બ્રાહ્મણનો થાક ઉતરી ગયો, એટલે “ભલે” કહી તે આગળ ચાલતો થયો. થોડેક દૂર ગયો ત્યાં એક તળાવ આવ્યું. આ તળાવમાં એક મગર રહેતો હતો. મગરે આવીને બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એનો એ જ જવાબ આપ્યો. ત્યારે મગરે કહ્યું: “ભાઈ! હું...” તળાવમાં રહું છું, છતાં મારા આખા દેહમાં બળતરા થાય છે, તો મારાં પાપનું નિવારણ પણ પૂછતાં આવજો.” “ભલે.” કહી બ્રાહ્મણ આગળ વધ્યો અને હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક ઝાડની નીચે તપ કરવા બેસી ગયો. બ્રાહ્મણના તપથી મહાદેવ પ્રસન્ન થયા અને પૂછ્યું: “બોલ ભાઈ, તારી શી ઈચ્છા છે?” “ભગવાન! મને માતાજીના શાપમાંથી ઉગારો અને મારો કોઢ મટાડી દો.” “ભાઈ! આને માટે એક જ રસ્તો છે અને તે એ કે તું સોળ સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય.” “ભગવાન! મારે આ વ્રત કેવી રીતે કરવું?” “જો સાંભળ: આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા સોમવારથી થાય છે અને સોળ સોમવાર સુધી કરવામાં આવે છે. દર સોમવારે સવારમાં વહેલા ઊઠી નદી-થોડું ધાર દોરાને ભેગા કરીને થોડા થોડા અંતરે એક એક કરીને ચાર ગાંઠ વાળવાની હોય છે. ત્યાર પછી એ દોરો ગળામાં પહેરી લેવાનો હોય છે. પછી મહાદેવજીના દર્શન કરવાના. દર સોમવારે એકટાણું કરવાનું. આમ શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસનો છેલ્લો સોમવાર આવે તે સોળમો સોમવાર થાય, ત્યાં સુધી સોમવાર કરવાના. સોળમા સોમવારને દિવસે સાડાબાર શેર ઘઉંના લોટના લાડુ બનાવવાના. એમાં સવાશેર ઘી અને સવાશેર ગોળ નાખવાનો. આ જે લાડુ બન્યા હોય એના ચાર ભાગ પાડવાના. આ ચાર ભાગમાંથી એક ભાગના લાડુ મંદિરના પૂજારીને આપવા, બીજો ભાગ રમતાં બાળકોને આપવો, ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપવો અને ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવાનો. આમ કરતાં પણ જો લાડુ વધે તો એને જમીનમાં દાટી દેવો. આવી રીતે વ્રતનું ઉજવણું કરવાનું.” આ વ્રત જો સાચા દિલથી શ્રદ્ધા રાખીને કરીશ તો જરૂર તને વ્રત ફળશે ને તારી કાયા કંચન જેવી થઈ જશે.” આ કોઢિયો તપોધન બ્રાહ્મણ તો શંકર ભગવાનને પગે લાગ્યો. પછી તેણે ગાયના પાપના નિવારણની વાત કરી, ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો: “ભાઈ! એ ગાય આગલા ભવમાં એક સ્ત્રી હતી. એ સ્ત્રી ભારે ક્રોધી હતી અને ધાવતાં બાળકોને પણ જુદા પાડતી હતી. આ પાપનું ફળ અત્યારે એ ભોગવી રહી છે. આ પાપનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ દોહીને મારો અભિષેક કરે, તો એની બધી તકલીફ દૂર થઈ જશે.” પછી બ્રાહ્મણે ઘોડાના દુ:ખનું નિવારણ પૂછ્યું, ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો: “આ ઘોડો આગલા જન્મમાં એક વાણિયો વેપારી હતો. તે ખોટાં કાટલાં રાખીને લોકોને છેતરતો હતો અને લોકોને પૈસા ધીરીને બેવડા પૈસા લેતો. જો તું એની ઉપર ઘોડેસવારી કરે તો એની બધી તકલીફ દૂર થઈ જાય.” પછી બ્રાહ્મણે આંબાની તકલીફ પૂછી, ત્યારે શંકર ભગવાને કહ્યું: “ગયા જન્મમાં એ ખૂબ લોભિયો હતો. એ ખૂબ જ લોભ કરતો હતો અને કોઈ જાતનું દાનપુણ્ય કરતો જ નહિ. એ આંબાની નીચે ધનનાં ચરુઓ દાટેલા છે. એ કાઢીને જો તું એ ધન સત્કાર્યમાં વાપરે, તો એની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે.” પછી બ્રાહ્મણે મગરની તકલીફ બાબત પૂછી જોયું, ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો: “ગયા જન્મમાં એ મગર એક મોટો પંડિત હતો. એ કોઈને શાસ્ત્રવિદ્યા શિખવાડતો જ નહિ. આથી એ મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. જો તું મારા ઉપર ચડેલું બીલીપત્ર એની આંખે અડાડીશ, તો એની બળતરા દૂર થઈ જશે.” આ બધાયની બાબતો તપોધન બ્રાહ્મણે જાણી લીધી. એણે શંકર ભગવાનને નમન કર્યા. પછી એણે ભગવાનને ચડાવેલું એક બીલીપત્ર લીધું અને એ ચાલી નીકળ્યો. આથી રાજા રાણી ઉપર ગુસ્સે થયો, કારણ કે આ વ્રતના ઉજવણામાં બીજું તો કાંઈ ખવાય નહિ, એટલે રાજા એકલા લાડુ પોતાના ભાગના ખાઈને ઊભો થઈ ગયો. એ જ રાતે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું : “હે રાજા ! તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો છે, માટે તું એને એક વખત દેશવટો આપી દે, એટલે એનું અભિમાન ઊતરી જશે.” અને બીજે દિવસે સવારે રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગેડી મૂકી. રાણી તો ચોધાર આંસુએ રડતી હતી. રડતી રડતી એ એક ગામને પાદર જઈ પહોંચી. ત્યાં આગળ એક ઝૂંપડીમાં એક ડોશી રેંટિયો કાંતતી હતી. એને જોઈ રાણી એની પાસે ગઈ અને પીવા માટેના પાણીની માગણી કરી. ડોશી ભલી હતી એટલે તેણે ઊભા થઈને પાણી આપ્યું, અને રાણીનું દુઃખ એણે સાંભળ્યું, એટલે ડોશીને રાણી ઉપર દયા આવી અને રાણીને પોતાની સાથે રાખી. પણ આથી ડોશીના કામમાં નુકસાન થવા માંડ્યું. ડોશીના તાર વારંવાર તૂટી જતા હતા અને સૂતર પણ ઓછું કંતાતું હતું. આથી ડોશીએ તેને અપશુકનિયાળ ગણીને કાઢી મૂકી. રાણી ચાલતી ચાલતી એક કૂવા કાંઠે આવી. ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી. એને પાણી પાવાની વિનંતી કરી. આથી એણે માટલું કૂવામાં ઉતાર્યું, પણ માટલું કૂવાની દીવાલ સાથે અથડાયું અને ભાંગી ગયું. આથી તેણે અપશુકનિયાળ ગણીને પાણી પાયા વગર કાઢી મૂકી. ચાલતાં ચાલતાં રાણી આગળ ગઈ. ત્યાં એક સંત-મહાત્માની મઢી આવી. આ સંત-મહાત્માએ રાણીને આશરો આપ્યો. આ રાણીને સંત-મહાત્માએ જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું. થાળી રાણીને આપી કે તરત જ થાળીમાં જીવડાં બની ગયાં. સંત-મહાત્મા આનું કારણ સમજી ગયા, એટલે તરત જ એણે રાણીને કહ્યું : “બેટી ! તું મહાદેવજીની દોષિત છે, માટે તું શંકર ભગવાનનું વ્રત કર !” અને એ વ્રતની સમજણ પણ પાડી. થોડા વખતમાં જ શ્રાવણ મહિનો આવતો હતો, એટલે રાણીએ વ્રતની શરૂઆત કરી. જોતજોતામાં સોળ સોમવાર પૂરા થઈ ગયા અને વ્રતનું ઉજવણું કર્યું. એ જ રાતે શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું : “હે રાજન ! તારી રાણી જંગલમાં તપ કરી રહી છે, માટે તું જઈને એને તેડી લાવ.” તરત જ રાજા એને તેડવા માટે ચાલી નીકળ્યો. તે મહાત્માને મળ્યો અને મહાત્માએ રાણીને રાજા સાથે વિદાય કરી. રાજા-રાણી મહાત્માજીના આશ્રમમાંથી નીકળી ચાલતાં ચાલતાં જતાં હતાં, ત્યાં રસ્તામાં એક પનિહારી ફૂટેલા ઘડા સાથે બેઠી હતી અને બેઠી બેઠી રડતી હતી. રાણીએ એને મંત્રેલો જળભરેલો ઘડો આપ્યો અને મહાદેવના વ્રતનો મહિમા કહી સંભળાવ્યો. આગળ જતાં ગાંગલી ઘાંચણની ઘાણી આવી, પણ એ ઘાણીમાંથી તેલ નીકળતું ન હતું. રાણીએ આ વાત જાણી અને ઘાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો, એટલે તરત જ ઘાણીમાંથી તેલ નીકળવા માંડ્યું. ગાંગલી ઘાંચણ રાજી રાજી થઈ ગઈ. એને પણ રાણીએ મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. આગળ જતાં રસ્તામાં માલણની એક ઝૂંપડી આવી. માલણ કરમાયેલાં ફૂલનો ઢગલો લઈને બેઠી હતી અને રડતી હતી. એની વાત સાંભળીને રાણીએ એ ફૂલની ઉપર પણ મંત્રેલો પવિત્ર જળનો છંટકાવ કર્યો. આથી તરત જ બધાં ફૂલો ખીલી ઊઠ્યાં અને રાણીએ એને મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. પછી રેંટિયો કાંતતી ડોશીની ઝૂંપડીએ આવી અને પોતે રેંટિયો ફેરવી લાંબા લાંબા તાર કાઢી બતાવ્યા. એવામાં રાજા-રાણી મહેલમાં આવી પહોંચ્યાં. આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યું. પણ ગામમાંથી એક કુંભારની સાસુ-વહુ જમવા આવ્યાં નહિ. એ ભૂખ્યાં હતાં. રાણીએ એને તેડાવ્યાં. એની પાસે રાણીએ મહાદેવજીના વ્રતની વાર્તા કહી અને સાસુએ 'મહાદેવજી-મહાદેવજી' કહી હોંકારો ભણ્યો. આ ડોશી બહેરી અને આંધળી હતી. મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ કુંભારની ડોશી દેખતી થઈ અને સાંભળતી પણ થઈ ગઈ. આથી રાણીએ કહ્યું : "માજી! આ બધો પ્રતાપ તો મહાદેવજીનો છે!" "એમ?" "હા માજી! તમે આ મહાદેવજીની વાર્તા સાંભળી કે ન સાંભળી, પણ એનું ફળ તમને મળી ગયું." અને ત્યાર પછી એ ડોશીએ અને એના દીકરાની વહુએ સોળ સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. એક વર્ષ વીતી ગયું આ વાતને અને રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો. આ કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા-રાણી ઘરડાં થયાં, એટલે રાજા-રાણીએ પોતાના રાજકુંવરને ગાદી સોંપીને બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યાં. ખાધું, પીધું ને મોજ કરી. હે મહાદેવજી! તમે જેવાં રાજા-રાણીને ફળ્યાં તેવાં સૌને ફળજો. જય મહાદેવ! મહાદેવ હર! જય ભોળાનાથ!

No comments:

Post a Comment

Multi-Page Auto Scroll Video Maker 📄 મલ્ટી-પેજ A4 વીડિયો મેકર અહીં તમારો ખૂબ જ લાંબો નિબંધ કે લખાણ...